અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઈનલનો જશ્ન: આ દિગ્ગજો કરશે પરફોર્મ

By: Nation Gujarat Team
06 Mar, 2026
અમદાવાદ: અમદાવાદમાં 8 માર્ચે યોજાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાનાર છે. આ મહામુકાબલા પહેલા ભવ્ય ક્લોઝિંગ સેરેમની અને મેગા કલ્ચરલ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના જાણીતા સિંગર પર્ફોર્મ કરશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાનાર છે. આ મહામુકાબલા પહેલા ભવ્ય ક્લોઝિંગ સેરેમની અને મેગા કલ્ચરલ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના જાણીતા ગાયકો પ્રદર્શન કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ, ગુજરાતની લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે. અંદાજે 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમ T20 વર્લ્ડ કપના સમાપનને યાદગાર બનાવશે. સંગીત, લાઈટિંગ અને ભવ્ય સ્ટેજ શો સાથે ક્રિકેટ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.
ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં વધારાના 30 પાણીના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં દર્શકોને પાણી અને અન્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

તબીબી સુવિધાઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં 6 મેડિકલ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો અને તબીબી સ્ટાફ સતત હાજર રહેશે. ઉપરાંત, આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 2 ICU સુવિધાવાળી એમ્બ્યુલન્સ પોડિયમ વિસ્તારમાં તૈયાર રાખવામાં આવશે, જ્યારે સમગ્ર સ્ટેડિયમમાં કુલ 6 ICU એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.
આ તમામ વ્યવસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ 1.25 લાખથી વધુ દર્શકોની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરવાનો છે. સુરક્ષા, તબીબી વ્યવસ્થા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો દ્વારા સંકલન સાથે કામગીરી ચાલી રહી છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે આ ફાઈનલ માત્ર રમતનો મુકાબલો નથી પરંતુ એક ભવ્ય ઉત્સવ બની રહેશે. સંગીત, સંસ્કૃતિ અને ક્રિકેટનો મહાસંગમ બનનારી આ રાત સાથે T20 વર્લ્ડ કપનું અમદાવાદમાં ભવ્ય સમાપન થવાનું છે. સમગ્ર દેશના ક્રિકેટ ચાહકોની નજર હવે 8 માર્ચે અમદાવાદ પર ટકેલી છે.

Related Posts

Load more